Panchala 7



પંચાળા : ૭

સંવત 1877ના ફાગણ વદિ 11 એકાદશીને દિવસ છો ઘડી દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયની કથા કરાવતા હતા. તેમાં આ શ્લોક આવ્યો જે:--

स वेद धातु: पदवीं परस्य दुरंतवीर्यस्य रथांगपाणे:।
योऽमायया संततयानुवृत्त्या भजेत तत्पाद-सरोजगंधम्॥

એ શ્લોકનો અર્થ કર્યો ત્યારે ॥ अमायया ॥ એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 7 || (133)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ધામ જે પોતાનું સ્વરૂપ કહેતાં પોતાને ધામ શબ્દથી કહ્યા છે અને તે સત્ય સ્વરૂપ જેવું અક્ષરધામને વિશે છે તેવું જ મનુષ્યરૂપે દેખાય છે એમ સમજે તેનું માયારૂપી કપટ રહેતું નથી. અને અજ્ઞાની જીવ અમને મનુષ્ય જેવા દેખે છે ને પોતાની પેઠે જ અમારે વિષે જન્મ-મરણભાવ કલ્પે છે તે જ્યારે એની માયિક દૃષ્ટિ મટે ત્યારે અમને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે છે અને અમે મનુષ્યભાવ દેખાડીએ છીએ તે તો નટની પેઠે અમારી યોગમાયા છે, અને જેમ શ્રીકૃષ્ણ ભગવાનનો દેહત્યાગાદિક જોઈને જ્ઞાની ભક્તને મોહ ન થયો, તેમ અમને યથાર્થપણે સમજનારા ભક્ત અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જ સમજે છે ને મૂર્ખ અમને સાકાર સમજે તો મનુષ્ય જેવા જ સમજે અને નિરાકાર સમજે તો તે દેહ-દેહીભાવ સમજે, જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ ભગવાન માયિક દેહમાં રહ્યા છે પણ સ્વરૂપે નિરાકાર છે એમ સમજે પણ અમે તો સદા દિવ્ય સાકાર છીએ તે સાકારપણું શ્રુતિ-સ્મૃતિએ પણ પ્રતિપાદન કર્યું છે. (1) અને જેમ અગ્નિ જ્વાળારૂપે લોઢાને વિષે આવે છે, ત્યારે લોઢાના ગુણ દાબીને પોતાના ગુણને પ્રકાશ કરે છે, તેમ અમે પુરુષમાં અમારા પ્રકાશ દ્વારે પ્રવેશ કરીએ છીએ ત્યારે જેમ સૂર્યના પ્રકાશમાં તારા-ચંદ્રનાં તેજ લીન થઈ જાય છે, તેમ પુરુષનો પ્રકાશ, ઐશ્વર્ય, સામર્થી તે અમારા પ્રકાશમાં લીન થઈ જાય છે અને પ્રકાશ દ્વારે પુરુષમાં રહીને અમે ઉત્પત્તિ કરીએ છીએ અને તેમ જ માયામાં પ્રકાશ દ્વારે પ્રવેશ કરીએ છીએ ત્યારે માયાના જડપણાદિક ગુણને દાબી દઈએ છીએ ત્યારે તે માયાથકી અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરે એવા પ્રધાનપુરુષાદિક ઉત્પન્ન થાય છે તે માયાપણું ઢંકાઈ ગયું જાણવું. એવી જ રીતે ચોવીશ તત્વ તથા વૈરાજાદિકને વિષે પણ ઉત્પત્યાદિક કાર્ય અમારા પ્રકાશ દ્વારે કરીને કરીએ છીએ અને નારદ-સનકાદિકરૂપે એટલે મુક્તને વિષે અમે પ્રગટ વિરાજીને મોક્ષરૂપી કાર્ય કરીએ છીએ અને જેમ લોઢામાં અગ્નિ રહ્યો જ છે પણ વિશેષ પ્રવેશ કર્યો હોય તે નીકળી જાય છે ત્યારે તે લોઢું હતું તેવું રહે છે તેમ અમે ઉત્પત્યાદિક કાર્ય કરી રહ્યા પછી વિશેષ પ્રવેશ કરેલો તે પ્રકાશ એમાંથી નીકળી જાય છે, ત્યારે તો તે સર્વે જેવા છે તેવા જ રહે છે. તેમાં અધિક દૈવત જણાતું હતું તે અમારું હતું અને અમે અમારા અક્ષરધામને વિષે સદા સાકાર મૂર્તિ છીએ અને અમારી આ મૂર્તિમાં ત્યાગ-ભાગ નથી માટે આ મૂર્તિનું જ ધ્યાન-ઉપાસના-ભક્તિ કરવી પણ ધામમાં બીજું સ્વરૂપ હશે અને આ બીજું સ્વરૂપ છે એમ ન સમજવું, અને આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ અમે ને અમારા ભકત દિવ્ય સાકારરૂપે અતિશે પ્રકાશે યુક્ત અક્ષરધામમાં રહીએ છીએ અને અમે ને અમારા ભક્ત અતિશે પ્રકાશે યુક્ત છીએ ને તમારા કલ્યાણને અર્થે કૃપા કરીને સર્વ શક્તિ-પાર્ષદોએ સહિત મનુષ્ય જેવા દેખાઈએ છીએ, આવી રીતે સમજે તેણે જ અમને યથાર્થ જાણ્યા કહેવાય ને તેની જ માયા નિવૃત્ત થાય છે ને તે જ જ્ઞાની ને એકાંતિક ભક્ત છે. (2) આવી અમારી દૃઢ ઉપાસનાવાળાને કુસંગને યોગે અથવા પ્રારબ્ધે કરીને અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય પણ તે વિના ઊર્ધ્વરેતા ને મહા ત્યાગીનું પણ ન થાય; અને આવી સમજણવાળાને નિરાકાર પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર સાંભળીને પણ સાકારપણામાં સંશય થાય જ નહિ જ તેની જ પરિપક્વ નિષ્ઠા જાણવી. (3) બાબતો છે.

ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં પંચાળા પ્રકરણં સમાપ્તમ્.

|| -------x------- ||



Leave a Reply