સંવત 1885ના મહા સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે વસંતી વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ગવૈયા પરમહંસ વસંતનાં કીર્તન ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે,
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
(પ્ર.૨) ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે? તો જે ભગવાન છે, તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિષે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ થકી રહિત છે, એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનને જાણીને ભગવાન વિના જે બીજા સર્વે માયિક પદાર્થ માત્ર તેને અતિશે તુચ્છ ને નાશવંત સમજે, ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે આવા અતિશે મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે, એવું જાણીને ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિષે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે, પણ તે ધર્મ મર્યાદાનો ક્યારેય લોપ ન કરે.(બા.૨)
અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે; અધમ-ઉદ્ધારણ છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જાશે તો તેની શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી રીતે માહાત્મ્યની ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 32 || (266)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે આહાર-વિહાર યુક્ત કરે તો ઇંદ્રિયો જિતાય ને એવો થકો નવ પ્રકારની ભક્તિમાં પ્રીતિએ સહિત રુચિ રાખે તો સત્સંગમાં પાર પડે. (1) બીજામાં સર્વેથી પર અમારા તેજરૂપ અક્ષરધામમાં અમે સદા સાકાર મૂર્તિ વિરાજમાન છીએ ને સર્વના કારણ ને સર્વના નિયંતા ને સર્વના અંતર્યામી ને દિવ્ય સુખમય મૂર્તિ છીએ આવો અમારો મહિમા સમજીને અમારે વિષે પ્રીતિ કરે ને નવધા ભક્તિ કરે ને અમારી આજ્ઞામાં વર્તે તે અમારો સાચો ભક્ત છે. (2) અને અમારા મહિમાનો ઓથ લઈને અમારી બાંધેલી મર્યાદાનો ભંગ કરે તે પાપી ને દુષ્ટ છે . (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં સમાધિનિષ્ઠને ઇંદ્રિયોનો ભય કહ્યો ને (અ. 3ના પહેલા પ્રશ્નમાં) ઉપશમદશાને પામે તેને પંચવિષય બાધ ન કરે એમ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ આમાં પોતાના સાધનિક ભક્તોને શિક્ષાને અર્થે માયાનું બળ બતાવ્યું છે, પણ ગોવર્ધનભાઈના જેવી ઉપશમદશા આવે તેને વિષય બાધ કરે જ નહિ.