Bhugol

[raw]

ભૂગોળ–ખગોલનું વચનામૃત

સંવત ૧૮૭૬ના ભાદરવા સુદિ ૧૧ એકાદશીને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, તે સમયને વિષે યહ પત્ર લખાવ્યો છે તે શ્રીમદ્ ભાગવતાદિ સદગ્રંથોને વિષેથી લખ્યું છે જે, ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે; ચિંતામણિ તુલ્ય છે. જે દેહને ઇંદ્રાદિક દેવતા ઇચ્છે છે, તે દેવતાને વિષય, વૈભવ, વિલાસ ને આયુષ તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થાતું; મોક્ષનું સાધન તો ભરતખંડને વિષે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે, તે વિના બીજે કોઈ ઠેકાણે ને કોઈ દેહને વિષે થાતું નથી. એ હેતુ માટે સર્વ દેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિષે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે. તેને તુલ્ય બીજું કોઈ ચૌદ લોકમાં સ્થાનક નથી. તે ચૌદ લોકનાં નામ-યહ આ મૃત્યુલોક છે તેથી ઊર્ધ્વ છ લોક છે. તેમાં પ્રથમ ભુવર્લોક છે. ૧ તેમાં મલિન દેવ રહે છે. તેથી ઊર્ધ્વ બીજો સ્વર્ગલોક છે. ૨ તેમાં ઇંદ્રાદિક દેવ રહે છે. તેથી ઊર્ધ્વ ત્રીજો મહર્લોક છે. ૩ તેમાં અર્યમાદિ પિત્રિદેવ રહે છે. તેથી ઊર્ધ્વ ચોથો જનલોક છે. ૪ તેથી ઊર્ધ્વ પાંચમો તપલોક છે. ૫ એ બે લોકમાં ભૃગ્વાદિ ઋષિ રહે છે. તેથી ઊર્ધ્વ છઠ્ઠો સત્યલોક છે. ૬ તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત સાત લોક છે. તે મૃત્યુલોકથી અધો જે હેઠા સાત લોક છે તેમાં પ્રથમ તો અતળ ૧, બીજો વિતળ ૨, ત્રીજો સુતળ ૩, એ ત્રણેને વિષે દૈત્ય રહે છે. તેથી હેઠો તળાતળ ૧, બીજો મહાતળ ૨, ત્રીજો રસાતળ ૩ એ ત્રણમાં નિશાચર રહે છે. ૬ એને હેઠા કહ્યા તેથી હેઠો સાતમો પાતાળ છે ૭, તેમાં સર્પ રહે છે. એ સાત લોક તે મૃત્યુલોકથી હેઠા છે તે સહિત સર્વે થઈને ચૌદ લોક થયા તેમાં મૃત્યુલોક તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના સાત દ્વીપ છે. તે ચક્રાકાર છે ને તેને મધ્યે જંબુદ્વીપ છે. તે એક લક્ષ યોજનનો છે. તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે તે પણ એક લાખ જોજનનો છે. ૧ તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે, તે બે લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ બે લાખ જોજનનો છે. ૨ તેનું જળ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે ને તેથી ત્રીજો શાલ્મલિદ્વીપ છે તે ફરતો છે તે ચાર લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે ચાર લાખ યોજનનો છે. તેનું જળ તે સુરા જે દારૂ તેના જેવું છે. ૩ તેથી ચોથો કુશદ્વીપ છે તે ફરતો છે ને તે આઠ લાખ જોજનનો છે, ને તેવડો ફરતો સમુદ્ર છે. ને તેનું જળ ઘૃત જે ઘી તે જેવું છે. ૪ ને તેથી પાંચમો ક્રૌંચદ્વીપ છે, તે સોળ લાખ જોજનનો છે ને તેવડો ફરતો સોળ લાખ જોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે. ૫ તેથી છઠ્ઠો શાકદ્વીપ છે. તે બત્રીશ લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે તે જેવડો છે. જેનું જળ તે દધીમંડોદ જે દહીં તેના ઘોળવા જેવું છે. ૬ તેથી સાતમો પુષ્કરદ્વીપ છે. તે ચોસઠ લાખ યોજનનો છે. ને તેને ફરતો સમુદ્ર છે તે પણ ચોસઠ લાખ જોજનનો છે. તેનું જળ તે સુધા જેવું મીઠું છે. ૭ એવી રીતે સાત દ્વીપ છે.

તેમાં આ જંબુદ્વીપ તે શ્રેષ્ઠ છે ને તે જંબુદ્વીપના નવ ખંડ છે. તે કેમ છે તો એ દ્વીપ છે તેને મધ્યે સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે. તેમાં સંકર્ષણની ઉપાસના છે ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે ને તેનું સુભગ એવું બીજું પણ નામ છે ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ ત્રણ ખંડ છે. તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે ને ત્યાં સાવર્ણિ મનુ મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે ને તેમાં કૂર્મજીની ઉપાસના છે. ને ત્યાં અર્યમા મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો કુરુ ખંડ છે. ને તેમાં વરાહની ઉપાસના છે. ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. એ પાંચ ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી દક્ષિણ દિશામાં ત્રણ ખંડ છે ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે. તેને વિષે નૃસિંહજીની ઉપાસના છે ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે. ને તેથી દક્ષિણ દિશામાં બીજો કિંપુરુષ નામે ખંડ છે તેમાં રામ-લક્ષ્મણજીની ઉપાસના છે, ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે. ને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે ને તેમાં નરનારાયણદેવની ઉપાસના છે ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ તેના નવ ખંડ કહ્યા તેમને વિષે ભરતખંડ છે તે અતિ શ્રેષ્ઠ છે. તે શા હેતુ માટે તો બીજા આઠ ખંડ છે તેમાં ભોગવિલાસનાં સુખ તો ઘણાં અધિક છે, પણ મોક્ષનું સાધન નથી ત્યાં તે મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે. તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય ચૌદ લોકને વિષે બીજું કોઈ ઠેકાણું નથી.

અને વળી ભરતખંડ છે તેમાં પણ તેર દેશ છે. તે અનાર્ય કહેતા કઠોર છે. તે કહીએ છીએ- એક તો બંગાળ ૧, બીજો નેપાળ ૨, ત્રીજો ભૂટ ૩, ચોથા કામાક્ષી ૪, પાંચમો સિંધ ૫, છઠ્ઠો કાબુલ ૬, સાતમો લાહોર ૭, આઠમો મુલતાન ૮, નવમો ઇરાન ૯, દશમો અસતંબોલ ૧૦, અગિયારમો અરબાન ૧૧, બારમો સ્વાલ ૧૨, તેરમો પિલપિલામ ૧૩. એ તેર દેશ મલિન છે તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા સાડાબાર દેશ છે તે આર્ય કહેતાં ઉત્તમ છે તેમનાં નામ- જે પ્રથમ તો એક પૂર્વ ૧, બીજો વ્રજ ૨, ત્રીજો માલવ ૩, ચોથો મારુ ૪, પાંચમો પંજાબ ૫, છઠ્ઠો ગુજરાત ૬, સાતમો દક્ષિણ ૭, આઠમો મલબાર ૮, નવમો તિલંગ ૯, દશમો દ્રાવીડ ૧૦, અગિયારમો બારમલાર ૧૧, બારમો સોરઠ ૧૨, અરધો કચ્છ એ સાડાબાર દેશ ઉત્તમ છે તેમાં સદગુરુ બ્રહ્મવેત્તા સંત તેમનું પ્રગટપણું ઘણું રહે છે. ને તે દેશમાં મનુષ્યદેહ પામે છે તેમને ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ સમજાય એમ છે ને એ મોક્ષના મારગને જાણે એમછે. તે કેમ જાણે તો એ જે ઉત્તમ દેશ છે તેને વિષે ભગવાનના અવતાર ઘણાક થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે અને ભરતખંડના સર્વે મનુષ્ય તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને કુસંગનો ત્યાગ કરી સદગુરુ ને બ્રહ્મવેત્તા સંતનો આશ્રય કરીને તેમને સેવવા ને તે સદગુરુ ને સંત તેમનાં લક્ષણ સદગ્રંથોને વિષે લખ્યાં છે જે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ આદિક શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ, ઇંદ્રિયો ને અંત:કરણ તે રાખવાં ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું ને વર્તમાનકાળે કરે છે ને ભવિષ્યકાળે કરશે તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું ને તેને સમજુ ને મોટો જાણવો. અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઈને કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ તેનાં વચન માનીને આવો મનુષ્યદેહ અમૂલ્ય છે તેનો ખુએ છે, ને તે જગતમાં તો ડાહ્યા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય ને તેની જગતમાં યશ-કીર્તિ ઘણી હોય તે તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા તો બ્રહ્મવેત્તા સાધુ ને સદગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે ને તેમને પાછો ફરીને આવો મોક્ષ-ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેની વિલંબ તો ઘણી છે.

તે સદગ્રંથોને અનુસારે લખ્યું છે જે આપણાં વર્ષ ૬૬૬ છસો ને છાસઠ ને માસ ૮ આઠ જાય છે ત્યારે બ્રહ્માનો ૧ લવ થાય છે. એવા ૬૦ લવનું ૧ એક નિમિષ તે આપણાં વર્ષ ૪૦,૦૦૦ ચાળીશ હજાર જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય. એવા ૬૦ સાઠ નિમિષનું એક પળ તે આપણાં વર્ષ ૨૪,૦૦,૦૦૦ ચોવીશ લાખ જાય ત્યારે બ્રહ્માનું ૧ પળ થાય. એવા ૬૦ સાઠ પળની ૧ એક ઘડી તે આપણાં વર્ષ ૧૪,૪૦,૦૦,૦૦૦ ચૌદ કરોડ ને ચાલીશ લાખ જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી ૩૦ ત્રીશ ઘડીનો ૧ એક દિવસ તે આપણાં વર્ષ ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ ચાર અબજ ને બત્રીશ કરોડ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તે ચાર જુગની ૧ એક ચોકડી ૧૭,૨૮,૦૦૦ સત્તર લાખ ને અઠ્ઠાવીશ હજાર સતયુગ. ૧૨,૯૬,૦૦૦ બાર લાખ ને છન્નું હજાર ત્રેતાયુગ. ૮,૬૪,૦૦૦ આઠ લાખ ચોસઠ હજાર દ્વાપર. ૪,૩૨,૦૦૦ ચાર લાખ ને બત્રીશ હજાર કળીનાં. ૪૩,૨૦,૦૦૦ ત્રેંતાળીશ લાખ ને વીશ હજાર વર્ષ થાય ત્યારે ૧ એક ચોકડી થાય. એવી બ્રહ્માના ૧ એક દિવસમાં ૧ એક હજાર ચોકડી યુગની થાય છે. તે બ્રહ્માના ૧ એક દિવસમાં ૧૪ ચૌદ મનુ ને ૧૪ ચૌદ ઇંદ્ર તે તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. ૧ એક મનુ ને ૧ એક ઇંદ્ર આપણાં વર્ષ ૩૦,૮૫,૯૧,૪૨૮ ત્રીશ કોટિ ને પંચાશી લાખ ને ઇકોતેર હજાર ને ચારસે અઠ્ઠાવીશ ને તે ઉપરાંત માસ ૬ છો ને દિવસ ૨૫ પચીશ, ઘડી ૪૨ બેતાંળીશ, પળ ૫૧ એકાવન, નિમિષ ૨૫ પચીશ, લવ ૪૨ બેતાળીશ ને ઉપરાંત ૧૨ બાર લવનો ચૌદમો ભાગ એટલું એક એક રહીને ચૌદ ઇંદ્ર થઈ જાય છે. તે બ્રહ્માના લવ-નિમિષાદિક સર્વ દિવસમાં ઊપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂએ છે ત્યારે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે તે આપણાં વર્ષ ૮,૬૪,૦૦,૦૦,૦૦૦ આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે તે દિવસ દિવસ પ્રત્યે નાશ થાય છે ને દિવસાંતરે પાછું ફરે છે ને તે નાશ થાય છે. તેનું નામ ૨ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે એ બ્રહ્માના ૧ દિવસની અવધિ કહી. એવા ૩૦ ત્રીશ દિવસનો ૧ એક માસ. એવા બાર માસનું ૧ એક વર્ષ. એવાં ૧૦૦ સો વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ ચૌદ લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઊપજ્યું જે કારજ તે સર્વ પ્રકૃતિમાં લય પામે છે એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે, ચોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટિ બ્રહ્માંડનો નાશ થાય છે, તે દિવસ તો પ્રધાનપુરુષનું કારણ એ જે પ્રકૃતિપુરુષ તે પોતાને વિષે અનંત બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષરપુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્યંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલયકાળે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્પત્તિકાળે અનુક્રમે તેથી લોમ જ ઉત્પન્ન થાય છે. એ તો ચાર પ્રકારના પ્રલયનું કહ્યું. પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ અવધિનો કીધો એવા સાડી ત્રણ કોટિ પ્રાકૃત પ્રલય થઈ જાય છે ત્યારે એ જીવ છે તે આવો મનુષ્યદેહ પામ્યો હોય તે દેહ વૃથા ખોટા માયિક સુખ ને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમયાતના ને નરકકુંડનાં દુ:ખ ને લખચોરાસી જાતના જે દેહ છે તેનાં દુ:ખ ભોગવીને તેમાં ફરી પાછો સાડી ત્રણ કોટિ પ્રાકૃત પ્રલય કહ્યા એવા થાશે ત્યારે ફરીને મોક્ષક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલી ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઈ! સૂઝે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ને ઇંદ્રિયો ને અંત:કરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો, ને જો આજ એ વાત નહિ સમજો ને આવો મનુષ્યદેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાની વિલંબ તો મોરે લખી એટલી છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થાશે. તે દિવસ મોક્ષ થવાનો થાશે તે દિ જો વિચારશો તો થાશે ને નહિ વિચારો તો તે દિ પણ મોક્ષ થાશે નહિ એ સિદ્ધાંત વાર્તા છે. સમજુ હોય તે વિચારજો ને મૂરખને માથે તો શ્રુતિ–સ્મૃતિની આમન્યા નથી; તે તો કોઈ એ વાતને સમજશે નહિ.

ઇતિ વચનામૃતમ્

[/raw]



Leave a Reply